Allu Arjun arrested: તાજેતરમાં જ હૈદરાબાદનાં સંધ્યા થિયેટરમાં પુષ્પા -2નાં પ્રિમીયર અલ્લુ અર્જુનને જોવા માટે થયેલી ભાગદોડમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. આ મહિલા મૃત્યુ કેસમાં પુષ્પા 2 ના અભિનેતા અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સંધ્યા થિયેટર મહિલા મૃત્યુ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડની પુષ્ટિ કરતાં એસીપી ચિકદપલ્લી એલ રમેશ કુમારે જણાવ્યું હતું કે, અભિનેતાને આજે વહેલી સવારે પૂછપરછ માટે ચિકદપલ્લી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. ન્યાયાધીશે સોમવાર સુધી ધરપકડ ટાળવાનો આદેશ માંગ્યો હતો અને પોલીસને બપોરે 2:30 વાગ્યા સુધીમાં જાણ કરવા જણાવ્યું હતું. હાલ અભિનેતાને પોલીસ સ્ટેશનથી ગાંધી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે. બાદમાં તેને કોર્ટમાં લઈ જવામાં આવે તેવી શક્યતા છે.
અલ્લુ અર્જુન અભિનીત ફિલ્મ પુષ્પા 2: ધ રુલની રિલીઝ ડેટ પર એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બન્યા બાદ આ બધું શરૂ થયું હતું, જેમાં નાસભાગમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું અને ઓછામાં ઓછા બે અન્ય લોકો ઘાયલ થયા હતા. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં અભિનેતાના આગમન પછી અંધાધૂંધી ફાટી નીકળી હતી. અલ્લુ અર્જુન સામે 3/5 બીએનએસ સાથેની કલમ 3(1) રેડ સહિતની ચાર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) કલમ 118(1) હેઠળ આ સજા એક વર્ષથી દસ વર્ષ સુધીની હોઈ શકે છે.
પ્રીમિયરની રાત દરમિયાન શું થયું?
જ્યારે સ્ક્રીનિંગ પહેલા ભારે ભીડ થિયેટરના ગેટ તરફ આગળ વધી તો તેના કારણે ભાગદોડ જેવી સ્થિતિ પેદા થઇ ગઇ. અલ્લુ અર્જુનની ઝલક જોવા માટે ઉત્સુક ચાહકો અભિનેતાના આગમનની સાથે જ પ્રવેશદ્વાર તરફ દોડી ગયા હતા. ભીડને કાબૂમાં લેવા તૈનાત પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો.
આ ઘટના બાદ મૃતકના પરિવારજનો દ્વારા થિયેટર અને એક્ટર સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ અંધાધૂંધીમાં મૃત્યુ પામેલી મહિલાની ઓળખ દિલસુખનગરની રહેવાસી રેવતી તરીકે થઈ હતી. તે પોતાના પતિ ભાસ્કર અને તેમના બે બાળકો તેજ (9) અને સંવિકા (7) સાથે પુષ્પા 2નો પ્રીમિયર શો જોવા આવી હતી.





