Sanjay Dutt takes a swipe at Bollywood’s ‘cut-throat’ culture, praises Hollywood’s unity: સંજય દત્તનું માનવું છે કે જ્યારે તેમણે પોતાની કારકિર્દી શરૂ કરી હતી ત્યારથી લઈને અત્યાર સુધીમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ઘણો બદલાવ આવ્યો છે. પોતાની સફરને યાદ કરતા અભિનેતાએ કહ્યું કે, બોલિવૂડમાં હવે પહેલા જેવો ભાઈચારો અને એકતા નથી રહી અને તેના બદલે આ ક્ષેત્ર હવે વધુ સ્પર્ધાત્મક બની ગયું છે. NDTV 24 × 7ના અહેવાલમાં આમ જણાવાયું હતું.
‘AIG હોસ્પિટલ્સ’ની યુટ્યુબ ચેનલ પર ડૉ. ડી નાગેશ્વર રેડ્ડી સાથે વાતચીત કરતી વખતે, અભિનેતાએ ફિલ્મ ઉદ્યોગમાં પોતાના 45 વર્ષના અનુભવો યાદ કર્યા અને જણાવ્યું કે જ્યારે તેમણે શરૂઆત કરી હતી ત્યારે માહોલ કેટલો અલગ હતો.
“ફિલ્મ ઉદ્યોગ એક પરિવાર જેવો લાગતો હતો:
સંજય દત્તે 1981માં આવેલી ફિલ્મ ‘રોકી’થી મુખ્ય અભિનેતા તરીકે ડેબ્યૂ કર્યું હતું. સુનીલ દત્ત દ્વારા નિર્દેશિત આ ફિલ્મથી ટીના મુનીમે પણ અભિનય ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું.
સંજયના માતા અને દિગ્ગજ અભિનેત્રી નરગિસના અવસાનના થોડા સમય બાદ જ રિલીઝ થયેલી ‘રોકી’ એ વર્ષની જાણીતી ફિલ્મોમાંથી એક બની હતી અને તેનાથી સંજયની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત થઈ હતી. વર્ષો જતાં, તેમણે ‘નામ’, ‘સાજન’, ‘ખલનાયક’, ‘વાસ્તવ’, ‘મુન્નાભાઈ M.B.B.S.’ અને ‘લગે રહો મુન્નાભાઈ’ જેવી ઘણી સફળ ફિલ્મો આપી.
ઉદ્યોગમાં પોતાના પ્રારંભિક દિવસોને યાદ કરતા અભિનેતાએ કહ્યું, “જ્યારે મેં શરૂઆત કરી ત્યારે આખી ઈન્ડસ્ટ્રી એક પરિવાર જેવી લાગતી હતી. દરેક વ્યક્તિ સાથે મળીને રહેતી અને એકબીજાને મદદ કરતી. હવે આ ક્ષેત્ર ખૂબ જ ગળાકાપ અને વધુ સ્પર્ધાત્મક બની ગયું છે. આ દુઃખદ છે, પણ મને આશા છે કે એ જૂનો માહોલ પાછો આવશે.”
સંજય દત્તને હોલિવૂડ શા માટે અલગ લાગે છે?:
અભિનેતાએ બોલિવૂડની તુલના હોલિવૂડ સાથે પણ કરી અને કહ્યું કે સ્પર્ધા તો બધે જ હોય છે, પરંતુ ત્યાંની ભાવના અલગ છે.
“હોલિવૂડમાં દરેક વ્યક્તિ સાથે છે, તેઓ મિત્રો છે. ત્યાં સ્પર્ધા છે, પણ તે ખૂબ જ સ્વસ્થ (Healthy) છે. ત્યાં બધા ખૂબ એકજૂટ છે. કલાકારો એકસાથે છે, લેખકો પણ એકસાથે છે. ત્યાં એવી સંસ્થાઓ છે જે દરેકને ટેકો આપે છે. ઓસ્કાર જેવા એવોર્ડ શોમાં પણ ખૂબ જ એકતા જોવા મળે છે. જ્યારે પણ કોઈ કલાકાર એવોર્ડ લેવા મંચ પર જાય છે, ત્યારે કોઈનામાં પણ ઈર્ષ્યા નથી હોતી. તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે દરેક વ્યક્તિ એકબીજાની સફળતાની ઉજવણી કરે છે. એ ખરેખર સુંદર છે.”
‘ખલનાયક રિટર્ન્સ’ની તૈયારીઓમાં વ્યસ્ત:
કામની વાત કરીએ તો, સંજય દત્ત છેલ્લે અહિજીત મોહન વારંગ દ્વારા નિર્દેશિત ‘આખરી સવાલ’માં જોવા મળ્યા હતા. આ પોલિટિકલ ડ્રામા ફિલ્મમાં નમાશી ચક્રવર્તી, આમિર સાધ અને સમીરા રેડ્ડી પણ મુખ્ય ભૂમિકામાં હતા.
અભિનેતા હવે ‘ખલનાયક રિટર્ન્સ’માં પોતાના આઇકોનિક પાત્ર ‘બલ્લૂ’ તરીકે વાપસી કરવા માટે તૈયાર થઈ રહ્યા છે. તેમણે આ વર્ષની શરૂઆતમાં જ આ સિક્વલની જાહેરાત કરી હતી.
1993માં રિલીઝ થયેલી મૂળ ફિલ્મ ‘ખલનાયક’નું નિર્દેશન સુભાષ ઘાઈએ કર્યું હતું અને તેમાં સંજય દત્ત, માધુરી દીક્ષિત અને જેકી શ્રોફ મુખ્ય ભૂમિકામાં હતા. આ એક્શન ડ્રામા તે વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મોમાંથી એક સાબિત થઈ હતી, જ્યારે ‘ચોલી કે પીછે ક્યા હૈ’ અને ‘નાયક નહીં ખલનાયક હૂં મૈં’ જેવા ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા.
બીજા ભાગની જાહેરાત કરતી વખતે, સંજય દત્તે એવો ખુલાસો કર્યો હતો કે 1993ના મુંબઈ બ્લાસ્ટ કેસના સંબંધમાં જ્યારે તેઓ જેલની સજા ભોગવી રહ્યા હતા, ત્યારે જ તેમને આ સિક્વલનો વિચાર આવ્યો હતો.





