આ વર્ષે ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબરે એટલે કે મંગળવારે છે. આ દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે, તેઓ આપણને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરે છે, પરંતુ તેની સાથે, ધનતેરસ પર દેવી લક્ષ્મીની પૂજા કરવાની પણ પરંપરા છે. આ સાથે યમદેવ અને કુબેરની પૂજા કરવાથી વ્યક્તિ આશીર્વાદ મેળવે છે. ધનતેરસ પર દેવી લક્ષ્મીની પૂજા સાથે જોડાયેલી એક પૌરાણિક કથા છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસ પર આ કથા વાંચવા અને સાંભળવાથી ઘરમાં ધન-સંપત્તિ રહે છે.
ધનતેરસની મહત્વની વાતોઃ
ધનતેરસ એ દિવાળી પહેલાં ઉજવાતો તહેવાર છે. આ દિવસે સ્વાસ્થ્યના દેવતા ધન્વંતરી, મૃત્યુના સ્વામી યમ, વાસ્તવિક સંપત્તિના અધિપતિ દેવી લક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે.આ દિવસે દેવી લક્ષ્મીનું આહ્વાન કરતા પહેલાં, સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા અને યમને પ્રસન્ન કરવા માટે કાર્યોની શુદ્ધિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ધન્વંતરી અને માતા લક્ષ્મીનો જન્મ સમુદ્ર મંથનથી થયો હતો. બંને કલશ લઈને નીચે ઊતર્યાં હતાં. આ સાથે જ લક્ષ્મીનું વાહન હાથી ઐરાવત પણ સમુદ્ર મંથન દ્વારા અવતર્યો હતો. શ્રીસુક્તમાં કહ્યું છે કે ‘धनमग्नि, धनम वायु, धनम सूर्यो धनम वसु:’ એટલે કે પ્રકૃતિ પોતે જ લક્ષ્મી છે અને પ્રકૃતિની રક્ષા કરીને માણસ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે નિઃસ્વાર્થ બનીને લક્ષ્મીનું સર્જન કરી શકે છે.
ધનતેરસનું મહત્વઃ આ રીતે કરો પૂજા
શુભ સમયમાં રાત્રે ઘીનો દીવો કરો. લક્ષ્મીમંત્રના જાપ પણ કરો.સોના-ચાંદીનાં ઘરેણાંને પવિત્ર જળથી સ્નાન કરાવીને પૂજાનો પ્રારંભ કરો. તાંબાના પાત્ર કે કળશમાં પૈસા કે ચાંદીના સિક્કા ભરી માટે રાખો. આ દિવસે પૂજા કરવાથી આખું વર્ષ ધન પ્રાપ્તિ થાય છે અને આરોગ્ય પણ સારૂ રહે છે. આ રીતે દર વર્ષે તેરસ પર દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે.
ધનતેરસનું મહત્વઃ
ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી સ્વાસ્થ્ય-સુખાકારી મળે છે. તો બીજી તરફ ભગવાન કુબેરની પૂજા કરવાથી ધન અને સંપત્તિ મળે છે. ધનતેરસનો તહેવાર ઘરમાં સુખ-સમૃદ્ધિના આગમનનો તહેવાર છે. આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર યમ દીપક પ્રગટાવવાની પરંપરા છે જેથી યમરાજ અકાળ મૃત્યુથી આપણને રક્ષણ આપે છે.
ધનતેરસ અને ધન્વંતરી દેવની ઉત્પત્તિઃ
ધનતેરસે ધન્વંતરી દેવની પૂજા કરાય છે એટલે આ તહેવારને ધનતેરસ કે ધનત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ધનતેરસની ઉજવણીની ઘણી કથાઓ પ્રસિદ્ધ છે. તેમાં સમુદ્ર મંથનની વાર્તા પણ જાણીતી છે. આ દિવસે ભગવાન ધન્વંતરી અમૃતનું પાત્ર લઈને સમુદ્રમાંથી પ્રગટ થયા હતા. તેથી, ધનતેરસનો તહેવાર તેમના પ્રાગટ્ય દિવસ તરીકે ઊજવવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે. ભગવાન ધન્વંતરીને દવા અને ઉપચારના દેવ મનાય છે. તેઓ ભગવાન વિષ્ણુના અવતાર વિશ્વને આરોગ્ય પ્રદાન કરે છે.





