shujaat khan at saptak 2025: હું અમદાવાદમાં ક્સલાસિકલ સંગીતની પ્રસ્તુતિ કરવા માટે વર્ષોથી આવું છું. કદાચ આ મારી 35મી વિઝીટ છે જેમાં સૌપ્રથમ વખત એવું બન્યું કે અમારા માર્ગદર્શક અને સિતાર વિદુષી મંજુ મહેતા નથી. તેમના વિના એખ ખાલીપો અનુભવાય છે. એક સ્ત્રી પછી તે ગાયન ગાય, રસોઈ બનાવે કે સિતાર વગાડે તેમાં એક ફિલીંગ આવતી હોય છે અને તે ફિલીંગનો અનેક વખત મેં અનુભવ કર્યો છે. આ શબ્દો છે ઈટાવા ઘરાનાના સિતારવાદક શુજાત ખાનનાં. સપ્તક સંગીત સમારોહમાં સિતાર પરફોર્મન્સ માટે આવેલા શુજાત ખાને વાત કરી હતી. 1960માં કોલકાતામાં જન્મેલા શુજાત ખાન સુપ્રસિદ્ધ સિતારવાદક ઉસ્તાદ વિલાયત ખાનના પુત્ર છે. શુજાત ખાનની સંગીત કારકિર્દી ત્રણ વર્ષની ઉંમરે શરૂ થઈ જ્યારે તેણે ખાસ બનાવેલી નાની સિતાર પર પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. છ વર્ષની ઉંમર સુધીમાં, તે બાળ ઉત્કૃષ્ટ વ્યક્તિ તરીકે ઓળખાઈ ગયો અને તેણે ઔપચારિક પ્રદર્શન શરૂ કર્યું. તેમને ઉસ્તાદ અમીર ખાન (ગાયક), પંડિત ભીમસેન જોશી, વિદુષી કિશોરી અમોનકર અને બીજા ઘણા કલાકારોથી પ્રભાવિત થવાનો લહાવો મળ્યો હતો.

હું 3 વર્ષની વયે નાનુ સિતાર લઈને રમવા બેસી જતો:
હું 3 વર્ષની વયે મારા ઘરમાં નાનુ સિતાર લઈને રમવા બેસી જતો. પછી જેમ જેમ મોટો થયો તેમ તેમ ખબર પડી કે હું તો સંગીતમાં મારી સાતમી જનરેશનને છું અને આ જનરેશન કે ઘરાનાની જવાબદારી પૂર્ણ કરવી તે મારી ફરજ છે. બસ પછી તો સિતાર સાથેની દોસ્તી પાક્કી થતી ગઈ અને અમારા ઈટાવા ઘરાના આગળ વધતું ગયું. મને હજ્જારો લોકો પૂછે છે કે તમે ગાયકી અંગને કઈ રીતે રજુ કરો છો જેમાં સિતાર જાણે પોતે જ બોલતું હોય તેવું લાગે તો મારે કહેવું છે કે વોકલના સૂર અને સિતારની નોટ્સમાં કોઈ અંતર નથી. હું જે વિચારૂ છું તે સિતાર પરથી નીકળે છે. તેમાં મારે તાકાત નથી કરવી પડતી. બસ પ્રેમ કરવો પડે છે. મારો અનુભવ છે કે તમે જ્યારે નફરતને બદલે પ્રેમ કરો છો ત્યારે મોટા ભાગની સમસ્યાઓ હલ થઈ જાય છે.





