Dileep Shankar’s Death: દક્ષિણની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં એક દુ:ખદ સમાચાર બહાર આવ્યાં છે કે મલયાલમ ફિલ્મ અને ટીવીનાં જાણીતાં અભિનેતા દિલીપ શંકરનું નિધન થયું છે. તે ૨૯ ડિસેમ્બરની સવારે તેમની હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ સમાચારે સમગ્ર ફિલ્મ ઉદ્યોગને આંચકો આપ્યો છે. દિલીપ શંકરની લાશ તેમની હોટલના રૂમમાંથી મળી આવી હતી અને પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે. દિલીપ શંકરે આત્મહત્યા કરી હતી કે પછી તેમનું મૃત્યુ કુદરતી રીતે હતું તે માહિતી હજુ અજાણ છે.
કેટલાક રિપોર્ટ અનુસાર દિલીપ શંકરની લાશ તિરુવનંતપુરમની એક હોટલના રૂમમાંથી મળી આવી હતી. તે ટીવી શો ‘પંચગની’નું શૂટિંગ કરી રહ્યા હતા અને શૂટિંગ માટે છેલ્લા કેટલાક દિવસોથી તે જ હોટલમાં રોકાયા હતા. હોટલના કર્મચારીઓને તેમનાં રૂમમાંથી દુર્ગંધ આવતાં, તેમણે રૂમને ચકાસ્યો અને ત્યારે ખ્યાલ આવ્યો કે દિલીપનું રૂમમાં જ મૃત્યુ નીપજ્યું હતું. દિલીપ શંકર છેલ્લા કેટલાક દિવસોથી પોતાની હોટલના રૂમમાંથી બહાર નીકળ્યા ન હતા. કોઈએ તેમને બહાર આવતા જોયા ન હતા. આથી તેનું મોત શંકાસ્પદ છે.

પોલીસને ઘટના સ્થળે સુસાઈડ નોટ કે અન્ય કોઈ નક્કર પુરાવા પણ મળ્યા નથી. તો દિલીપ શંકરનું મૃત્યુ કેવી રીતે થયું? આ વાત હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ હવે સમગ્ર કેસની તપાસ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે દિલીપ શંકરનું મોત કેવી રીતે થયું. દિલીપ શંકરના અચાનક અવસાનથી સમગ્ર ઉદ્યોગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે અને ચાહકોને આંચકો લાગ્યો છે.
દિલીપ શંકરની કારકિર્દીની વાત કરીએ તો તેમણે ઘણી પ્રાદેશિક ભાષાની ફિલ્મો અને ટીવી સિરીઝમાં કામ કર્યું છે. ટીવી શો ‘અમ્મારિયાતે’માં તેને સારો આવકાર મળ્યો હતો. ‘પંચગની’માં તેમણે ભજવેલા ચંદ્રસેનન પાત્ર માટે પણ તેમને ઘણી પ્રશંસા મળી હતી. તેમને ‘નોર્થ ૨૪ કથમ’ અને ‘ચપ્પા કુરિશુ’ જેવી મલયાલમ ફિલ્મોમાં ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.





