#majaniwedding: ગુજરાતી ફિલ્મનાં સુપરસ્ટાર મલ્હાર ઠાકરે તાજેતરમાં પૂજા જોષી સાથેનાં પોતાનાં લગ્નનું એનાઉન્સમેન્ટ કર્યું ત્યારથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને ફેન્સમાં તેનાં લગ્ન માટેની એક્સાઇટમેન્ટ જોવા મળી રહી છે. સોશિયલ મિડીયા પર #majaniwedding નાં હેશટેગ્સ સાથે મલ્હાર અને પૂજાનાં મિત્રોએ કેટલાંક ફોટોઝ સોશિયલ મિડીયા પર શેર કર્યાં હતાં. આ ઉપરાંત મલ્હારે એક પોડકાસ્ટમાં તેનાં લગ્ન કઇ રીતે યોજવામાં આવ્યાં છે તે માટેની કેટલીક ડીટેલ્સ શેર કરી હતી. જાણીએ શું કહે છે મલ્હાર તેનાં લગ્નની તૈયારીઓ વિશે.
મલ્હારે કહ્યું કે, તેમનાં લગ્નનાં પ્રસંગો ચાર દિવસ સુધી ચાલશે, જેમાં પહેલાં દિવસે મહેંદીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ બીજા દિવસે સંગીત અને હલ્દીની વિધિ થશે. તેમની હલ્દીની એટલેકે ગુજરાતીમાં પીઠીની વિધિ વૈદિક શાસ્ત્રો પ્રમાણે વર-વધુની ભેગી હોતી નથી. પરંતુ તે માટે અમે બંને પરિવારને મનાવ્યાં હતાં અને એકસાથે મિત્રો અને સંબંધીઓ સાથે પીઠીની વિધિનું આયોજન કર્યું છે. સાંજની સંગીત સંધ્યામાં કાઠિયાવાડી જમવાનાની સાથે ઓસ્માન અને આમીર મીરનાં સંગીતનો જમાવડો રાખવામાં આવ્યું છે. મલ્હારે વધુમાં કહ્યું કે, આ સંગીત સંધ્યામાં તેણે શેફ સાથે મળીને પોતાની પસંદગીની કેટલીક ફૂડ આઇટમનો સમાવેશ કર્યો છે.

તેમનાં લગ્નનાં દિવસની માહિતી આપતાં મલ્હારે કહ્યું કે, 26મી નવેમ્બરે અમારા લગ્નનો દિવસ છે, જેમાં 11 થી 15 બ્રાહ્મણોનાં મંત્રોચ્ચાર સાથે લગ્નની વિધિ કરવામાં આવશે. આ લગ્નનો સમારોહ સવારે 9થી 3 વચ્ચેનો રહેશે. જેમાં સવારે 9 કલાકે જાન લઇને મલ્હાર પૂજાને લેવા પહોંચશે અને પૂજાની વિદાઇ કરીને 3 વાગ્યે પાછા ઘરે પધારશે. ત્યારબાદ 27મી નવેમ્બરે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં મલ્હારનાં કલિગ્સ અને મિત્રો હાજરી આપશે.

મલ્હારે તેનાં મિત્રોની એક્સાઇટમેન્ટ વિશે જણાવ્યું કે મારા મિત્રોમાં સૌથી વધુ એક્સાઇટેડ ઉજ્જવલ દવે, મિત્ર ગઢવી અને રાહુલ રાવલ લગ્નમાં ધૂમ મચાવી દેશે તેની મને ખાતરી છે.






